શૈષણિક વર્ષ 2023 / 24 થી 1 લી જૂન સુધી 6 વર્ષની ઉંમર પૂરી કરનારા બાળકને જ ધોરણ 1 માં પ્રવેશ મળવાનો છે , જેથી એકાદ મહિના બાદ 6 વર્ષ પૂરા કરનારા બાળકને પ્રાથમિક શાળામાં છેક સાત વર્ષની ઉંમરે એકડો ઘૂંટવા મળશે . જોકે , હાલ નવા શૈક્ષણિક વર્ષ 2022/23 થી અંદાજે 25000 ઉપરાંત બાળકો મે મહિનાની 31 મી તારીખે પાંચ વર્ષ પૂરા કર્યા હશે તો પણ પ્રાથમિક શાળાના ધોરણ 1 માં પ્રવેશ મેળવે એવો અંદાજ છે . ગાંધીનગરથી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ બે વર્ષ અગાઉ 2020 ની 23 મી ડિસેમ્બરે તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને પત્ર લખી સુધારેલા જાહેરનામા અંગે જણાવ્યું હતું કે , શૈક્ષણિક વર્ષના 1 લી જૂનના રોજ જે બાળકની ઉંમર 6ઠું વર્ષ પૂરું થયું ન હોય તેવા બાળકને સામાન્ય રીતે પ્રારંભિક શાળામાં પ્રવેશ આપવામાં આવશે નહીં . તેમણે વધુમાં લખ્યું છે કે , શૈક્ષણિક વર્ષ 2020/21 , 2021/22 અને 2022/23 દરમિયાન કોઈ બાળકે તે શૈક્ષણિક વર્ષના 1 લી જૂને 5 વર્ષની વય પૂર્ણ કરેલી હોય તો તે જે તે વર્ષમાં પ્રવેશ મેળવવા પાત્ર રહેતો હતો , જેમાં હવે શૈક્ષણિક વર્ષ 2023/24 માટે સુધારો આવ્યો છે અને 1 લી જૂનથી 6 વર્ષ પૂરા કરનારા બાળકને ધોરણ 1 માં પ્રવેશ આપવામાં આવશે . જે બાબતે વાલીઓ અવઢવમાં છે , જેથી સ્પષ્ટતા કરવી .જો કોઈ વાલી પોતાના પાલ્યને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અપાવવા માંગતા હોય તો શિક્ષણ વિભાગના સદર જાહેરનામાને ધ્યાને લઈ શાળાઓ દ્વારા જે તે બાળકને પૂર્વ પ્રાથમિક જેમ કે પ્લેગ્રાઉન્ડ , નર્સરી , જુ.કેજી . , સી.કેજી.માં એવી રીતે પ્રવેશ આપવામાં આવે કે જ્યારે તે બાળક પૂર્વ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે અને ધોરણ 1 માં પ્રવેશ મેળવવાની કાર્યવાહી કરે ત્યારે શૈક્ષણિક વર્ષ 2023 / 24 માં 1 લી જૂનના રોજ 6 વર્ષની ઉંમર પૂર્ણ થયેલી હોય .